સાઉથ આફ્રિકા સામેની પાંચમી વન ડેની સાથે શ્રેણી જીત્યા બાદ ભારત આજરોજની ઔપચારિક બનેલી છઠ્ઠી અને આખરી વન ડેમાં બેન્ચ સ્ટ્રેન્થને અજમાવે તેવી શક્યતા છે. કુલદીપ યાદવ અને ચહલની સ્પિન બોલિંગ જોડીના પ્રભુત્વસભર દેખાવને સહારે ભારતે પાંચમી વન ડે જીતવાની સાથે છ વન ડેની શ્રેણીમાં 4-1 થી અજેય સરસાઈ મેળવી લીધી હતી.
ટેસ્ટ શ્રેણીની જીત બાદ સાઉથ આફ્રિકાનો દેખાવ વન ડે ક્રિકેટમાં અત્યંત કંગાળ રહ્યો છે અને હવે તેઓ શ્રેણી ગુમાવ્યા બાદ રહી-સહી આબરૃ બચાવવાનાં ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. સેન્ચ્યુરીયનમાં સાંજે 4:30 થી વન ડે રમાશે. કોહલીની આગેવાની હેઠળની યુવા ટીમે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં શાનદાર દેખાવ કરતા અહી સૌપ્રથમ વન ડે શ્રેણી જીતવાનો ઈતિહાસ રચ્યો હતો.