રાજકોટમાં છેલ્લા 6 મહિનામાં સરકારી મગફળીના ગોડાઉમાં આગ લાગવાની ત્રીજી ઘટના આવી સામે
રાજકોટના ગોંડલ હાઇવે ઉપર આવેલા શાપર વેરાવળમાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં નાફેર્ડ દ્વારા ખરીદી કરવામાં આવેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેના પગલે જિલ્લા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. આગ ઉપર કાબુ મેળવવા માટે રાજકોટ, ગોંડલ અને જેતપુરથી ફાયર ફાઈટરો દોડાવવામાં આવ્યા છે. આઘને કાબુમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. શંકાસ્પદ આગને લઈને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તપાસ ના આદેશ આપ્યા છે. આગની ઘટનામાં 26 હજાર મગફળીની બોરીઓ બળીને ખાક થઈ ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. તો આગની ઘટના બની તે દરમિયાન સિક્યુરિટી સ્થળ ઉપર હાજર ન હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.
રાજકોટ ગોંડલ હાઇવે ઉપર પંચનાથ ઓટોની સામે આવેલ નેશનલ કોટન ઇન્ડિઝટ્રીઝ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટનાની પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, આ ગોડાઉન નાફેર્ડને ભાડે આપવામાં આવ્યું હતું. આ ગોડાઉનમાં મગફળીની 43 હજાર બોરી હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં આગ ઉપર કાબુ મેળવવા રાજકોટ, ગોંડલ અને જેતપુરથી 10 ફાયર ફાઈટર દોડાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. બીજી તરફ ગોડાઉન માલિકે આગની ઘટના સંદર્ભે કોઇપણ જાતનું નિવેદન આપવાનું ટાળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ગોંડલમાં આવેલા મગફળીના ગોડાઉનમાં લાગી હતી. બાદ માં રાજકોટ યાર્ડ માં સહકારી બારદાનમાં આગ લાગતાં તમામ વખરી બળીને ખાક થઈ ગઈ હતી. હવે ફરીથી શાપરમાં મગફળીનાં સહકારી ગોડાઉનમાં આગ લાગતાં અનેક શંકાઓ ઉપજાવે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.