રાજકોટમાં પિતાની બેદરકારીથી માસૂમ પુત્રનો ભોગ લેવાયો હોય તેવી એક ઘટના સામે આવી છે. આ ઘટના ભોમેશ્વર વિસ્તારમાં બની હતી. ટ્રાન્સપોર્ટનો ધંધાર્થીએ ગુરુવારે સાંજે ઘેર આવી પોતાની પાસે રહેલી ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ બારી પર મૂકીને મોં ધોવા ગયા હતા. આ સમયે ત્યાં રમતા રમતા આવી ચડેલા ટ્રાન્સપોર્ટરના 9 વર્ષના પુત્રએ નિર્દોષ ભાવે પિસ્તોલ હાથમાં લઇ લમણે મૂકી ફાયર કરતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
ગાંધીગ્રામ પોલીસે આ ઘટનામાં બેદરકાર પિતા સામે ગેરકાયદે પિસ્તોલ રાખવા અને બેદરકારી દાખવવા સહિતના મુદ્દે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મળતી વિગત મુજબ, ભોમેશ્વર વિસ્તારમાં આવેલી જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર હિતેન્દ્રસિંહ રવુભા ચુડાસમા ગુરુવારે સાંજે ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચી તેમની પાસે રહેલી લોડેડ પિસ્તોલ બારીમાં રાખી હાથ-પગ ધોવા ગયા હતા. ત્યારે તેમનો 9 વર્ષનો દીકરો જયવીરસિંહ ચુડાસમા ત્યાં આવી ચઢતાં તેણે બાળક સ્વભાવે રમતાં રમતાં પોતાના લમણે પિસ્તોલ તાકી દેતાં થયેલા ફાયરિંગમાં મોત નિપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર પરિવાર બેબાકળો બન્યો હતો. અને પુત્રને બચાવવા પ્રયત્નો કર્યા હતાં પણ આખે બધું જ નિષ્ફળ નીવડ્યું હતું. મૃતક માસુમનાં દાદા નિવૃત્ત જમાદાર હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી છે.