રાજકોટ પશ્ચિમ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુનાં ભાઈ દિવ્યનીલ રાજ્યગુરુ પર શનિવારે રાત્રે 20 જેટલા શખ્સોએ બેનર ઉતારવાનાં મામલે હુમલો કરતા મોઢા અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, અને તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ તેમના ટેકેદારો સાથે મુખ્યમંત્રીનાં નિર્મલા રોડ પર પારસ સોસાયટીમાં આવેલા બંગલે દોડી આવ્યા હતા.સીએમનાં ઘરની બહાર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, અને પોલીસ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ પણ થયુ હતુ.
જોકે પોલીસે સૌ પ્રથમ તો સમજાવટ કરીને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ સ્થિતિ કાબૂ બહાર જતા પોલીસે લાલ આંખ કરવી પડી હતી.અને હળવો લાઠીચાર્જ પણ કરાયો હોવાનું જાણવા મળ્યુ છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને મિતુલ દોંગા સહિત ત્રણની પોલીસે અટકાયત કરી હતી. તમામ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પ્રમાણે અલગ-અલગ ગુના પણ દાખલ કરવામાં આવશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપના આગેવાનો અને કાર્યકરોના ટોળાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.