રાજકોટમાં હાર્દિક પટેલ દ્વારા યોજાયેલી જાહેરસભાને લઇને હવે રાજકારણ ગરમાયું છે. મંજુરી વગર યોજાયેલી જાહેરસભાને કારણે 69 વિધાનસભાનાં ચૂંટણી અધિકારી દ્વારા માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
તુષાર નંદાણી અને હાર્દિક પટેલ સામે ચૂંટણી અધિકારીએ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 8, 9 અને 10 નાં લોકોનું સ્નેહમિલન યોજવા અંગે અરજી કરવામાં આવી હતી, પરંતુ મહાક્રાંતિનાં બેનર હેઠળ સભા યોજાઈ હતી.
જેને લઈને જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. તો બીજી તરફ જીલ્લા કલેકટર દ્વારા પણ સમગ્ર મામલે તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. જેમાં હાર્દિક પટેલની સભામાં જે ખર્ચ થયો છે, જેમાં ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો હોવાથી આ સભાનો ખર્ચ ક્યા ઉમેદવારમાં ઉમેરો કરવો સહિતનાં મુદ્દાઓની તપાસ કરવા અંગે પણ આદેશ આપવામાં આવ્યો છે.
હાર્દિક પર પોલીસ ફરિયાદ તેમજ ખર્ચ અંગે તપાસનાં આદેશને લઈને હવે આગામી દિવસોમાં હાર્દિકની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.