વડોદરાના ભાયલીના વેપારી ભૌમિક પટેલની હત્યામાં મુખ્ય કડી હાથ નહિ લાગતા પોલીસની જુુદી જુદી ટીમો રૂપિયાની લેવડદેવડ, ધંધાની હરિફાઇ કે પ્રેમપ્રકરણની થીયરી પર તપાસ કરી રહી છે. બીજી બાજુ મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા વજનદાર અને ધારદાર પાળિયા જેવા હથિયાર વડે ગળુ કાપી નાખ્યું હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે.
ભાયલીમાં જય અંબે ઇલેકટ્રોનિકના સંચાલક અશ્વિન ભઇલાલ પટેલના પુત્ર ભૌમિકે 4 વર્ષ પહેલા વિદ્યાનગરની યેશા ભરત પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. તેને લગ્નજીવનમાં સવા બે વર્ષનો પુત્ર અંશ છે. ભૌમિક બ્રાઇક સ્કૂલ પાસેની અર્થ એક્રોપોલીક્સમાં ભાડાના મકાનમાં રહેતો હતો. 20 દિવસથી તેણે પાદરાની રીધમ મોબાઇલના શાહરૂખ ઇકબાલ વ્હોરા સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. ધુળેટીએ સાંજે ભૌમિકે ઘરેથી જતા સમયે મમ્મી કાલે હું ટિફિન લઇને દુકાને જઇશ એટલે તું તૈયાર રાખજે તેમ કહીને ગયો હતો.
બીજા દિવસે ટિફિન બાબતે માતાએ 25 થી 30 વખત કોલ કરવા છતાં સંપર્ક નહિ થતાં પિતા ઘરે તપાસ કરવા ગયા હતા પણ ઘર બંધ હતું. જોકે સાડા અગિયાર વાગે અંકોડિયા શેરખી રોડ પરથી તેની કાર બીનવારસી મળી હતી જ્યારે 5મીએ બપોરે અંપાડ લકડીકુઇ રોડ પર હિંગલોટની સીમમાં એફલ્યુઅન્ટ ચેનલ પાસે ગટરના પાણીમાં તેની લાશ ઉંઘી પડેલી મળી આવી હતી. તાલુકા પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો હત્યા સંદર્ભે જુદી જુદી થીયરી પર તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઇ કડી મળી નથી. સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપતા અંતિમ સંસ્કાર કરાયા હતાં.