વડોદરાના કારેલીબાગ બુદ્ધદેવ કોલોની પાસે આવેલી વિષ્ણુકુંજ સોસાયટીના મકાનમાં આજે એકાએખ આગ લાગી હતી. મકાનના બેડરૂમમાંથી ધુમાડો નીકળતા પરિવારજનો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. બાદમાં ફાયરબ્રિગેડને જાણ કરાતાં ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના કારેલીબાગ બુધ્ધદેવ કોલોનીમાં આવેલી 43, વિષ્ણુકુંજ સોસાયટીમાં આર.પી. પટેલ નામના વ્યક્તિ પરિવાર સાથે રહે છે. આજે સવારના સમયે તેમના મકાનના બેડરૂમમાં અચાનક આગ લાગતા પરિવારજનો ગભરાઇ ગયા હતા. આગથી બચવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. મકાનમાં આગ વધુ પ્રસરે તે પહેલાં જ પરિવારજનોએ મકાનના રૂમમાંથી વદ્ધને ઉંચકીને બહાર લઇ આવ્યા હતા. જોકે આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતા લાશ્કરો સ્થળ પર દોડી આવી પાણીમારો ચલાવી આગને કાબૂમાં લઇ લીધી હતી. આગમાં કોઈ જાનહાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ મોટુ આર્થિક નુકશાન થયું હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.