આવતીકાલે સોમવારે જાહેર થનારા ધોરણ-૧૦ના પરિણામના ગણતરીના કલાકો અગાઉ જ શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. રિઝલ્ટના ટેન્શનમાં જ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પરિવારના સભ્યો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગોડાદરા, આસપાસનગર નજીક આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી અલ્પા ધીરૃ પટેલ (ઉં.વ.૧૭)ની ગઈકાલે બપોરે ઘરમાંથી લાશ મળી આવી હતી. અલ્પાએ ઘરમાં છતના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહી છે. પોલીસે કહ્યું હતું કે, મૃતક અલ્પાના પિતા ગેરેજમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં બીજી ત્રણ પુત્રી અને એક પુત્ર છે. અલ્પાને આગામી ૨૮મીએ આવનારા ધોરણ-૧૦ના રિઝલ્ટનું ટેન્શન હતું. એકાદ-બે વર્ષ પહેલાં અલ્પા ધોરણ-૧૦માં નાપાસ થઈ હતી. ત્યારબાદ આ વર્ષે તેણીએ એક્સ્ટર્નલ વિર્દ્યાિથની તરીકે ધોરણ-૧૦ની પરીક્ષા આપી હતી. જોકે, રિઝલ્ટનું ટેન્શન હોવાનું ઘરમાં કહેતી અલ્પાએ ગઈકાલે આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. તેણીના મોતને પગલે પરિવારજમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. બનાવ અંગે લિંબાયત પોલીસની તપાસ ચાલી રહી છે.
આ કોઈ અંતિમ પરિણામ નથી, નિરાશ નહીં થવું -ડો. તૃપ્તી પટેલ (મનોચિકિત્સક)
પરીક્ષા બાદ કોઈપણ અનઅપેક્ષિત રિઝલ્ટ આવે તો નિરાશા આવી શકે છે. નિરાશા વધારે થાય ત્યારે આપઘાતના વિચારો આવી શકે છે. આવા વિચારો કોઈપણ ઉંમરની વ્યક્તિને આવી શકે, ત્યારે પોતાના નિરાશાજનક વિચારો માતા-પિતા કે જવાબદાર વ્યક્તિ સાથે શેર કરવા જોઈએ. આવા સમયે તેમને સપોર્ટ અને પ્રોટેક્ટ કરવા જોઈએ. મોટાભાગના આપઘાતના માધ્યમો આસપાસ નહીં હોય તો તે ટાળી શકાય છે. બાળકોને એકલા નહીં છોડો અને તેમનું મન પ્રફુલ્લિત થાય એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. આ જીવનનું છેલ્લું પરિણામ નથી અને નિરાશ થવાની કોઈ જરૃર નથી એ પોતાના સંતાનોને વાલીઓએ સમજાવવું જોઈએ અને મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ કરાવવું જોઈએ.