સુરતમાં પુત્રએ જ કરી નાંખી પિતાની હત્યા, પુત્ર અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું

New Update
સુરતમાં પુત્રએ જ કરી નાંખી પિતાની હત્યા, પુત્ર અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું

સરથાણા વિસ્તારમાં બીઆરટીએસ રોડ નજીક હત્યા, સપ્તાહમાં ચોથી હત્યાનો બનાવ

સુરતના સીમાડા ગામમાં ગુરુવારે સાંજના સમયગાળામાં માનસિક અસ્થિર પુત્રએ વૃદ્ધ પિતાની હત્યા કરી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે.

મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને સુરતમાં દીવાળીબાનગર સોસાયટી નજીક સીમાડા ગામ ખાતે રહેતા અને મોચી કામ કરતા સુખદેવ બાજીરાવ રાઠે ગુરુવારે સાંજે છ વાગ્યે ઘરે હતા. તે દરમિયાન તેમનાં પત્ની કામ માટે બહાર ગયા હતા. આ સમયે તેમનો માનસિક રીતે અસ્થિર પુત્ર મધુકર પણ ઘરે હાજર હતો. પિતા કાંઈ સમજે તે પહેલાં જ મધુકરે મોચી કામમાં ચામડું કાપવા માટે વપરાતા ધારદાર સાધનના બે ત્રણ ઘા પિતાને ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાને કારણે સુખદેવ રાઠેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પિતાની હત્યા કર્યા બાદ પુત્ર ભાગવા જાય તે પહેલાં જ સરથાણા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

તપાસ કરતા અધિકારી સરથાણાના પીઆઈ એન.ડી. ચૌધરીએ કહ્યું હતું કે, મધુકર માનસિક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તેનાં પત્ની પણ પિયર ચાલ્યા ગયા છે. તેને આઠ વર્ષની એક પુત્રી પણ છે. જોકે તેણે પિતાની હત્યા શા માટે કરી? એ મુદ્દે તે કાંઈ બોલતો ન હોવાથી હાલ પોલીસ હત્યાનું કારણ શોધવાના કામે લાગી છે.

Latest Stories