સુરતનાં યોગી ચોક વિસ્તારમાં ચૂંટણી માટેનાં ભાજપના મુખ્ય કાર્યાલયના ઉદ્દઘાટન વખતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)નાં કાર્યકરોએ જય સરદારનાં નારા સાથે પ્રદર્શન કરતા પોલીસે 30થી વધુ પાસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, જેને લીધે કાર્યકર્તાઓ ઉગ્ર બન્યા હતા અને વરાછા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
આ હોબાળામાં વિસ્તારમાં પથ્થરમારો પણ કરાયો હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં કેટલાકને સામાન્ય ઇજાઓ પહોંચી છે. કેટલીક ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પાસના નેતાઓની અટકાયતને પગલે સુરત પાસના કન્વીનર અલ્પેશ કથેરિયા સહિતના કાર્યકારોએ પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો અને અટકાયત કરાયેલા ‘પાસ’નાં કાર્યકરોને છોડી મૂકવાની માંગ સાથે ત્યાં બેસી ગયા હતા. દરમિયાનમાં વરાછાથી કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરા સહિતના કોંગ્રેસનાં નેતાઓ પણ પોલીસ મથકે પહોંચી ગયા હતા.