દૂરસંચાર આયોગે ચાલુ ફ્લાઈટમાં મોબાઈલ સેવા ‘કનેક્ટિવિટી’ને મંગળવારે કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે.ત્યાંના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. આ નિર્ણય બાદ ડોમેસ્ટિક અથવા વિદેશની ફ્લાઈટમાં પ્રવાસી મોબાઈલ પર વાત કરી શકશે તેમજ ઈન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકશે. એરક્રાફ્ટ 3000 ફૂટ ઉંચાઇ પર પહોંચે ત્યારબાદ સ્માર્ટફોનનો ઉપયોગ કરવા ટેલિકોમ કમિશને આપી મજૂરી હતી,
દૂરસંચાર વિભાગની સર્વોચ્ચ નીતિ નિર્માતા સંસ્થાએ બેઠક દરમિયાન ઈન્ટરનેટ ટેલિફોની પર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની ભલામણોને પણ લીલી ઝંડી આપી દીધી છે. દૂરસંચાર સચિવ અરૂણ સુંદરરાજને પત્રકારોને જણાવ્યું કે દૂરસંચાર આયોગે ટ્રાઈ અધિનિયમ હેઠળ વધુ ગ્રાહકોની ફરિયાદ નિવારણ પ્રક્રિયા માટે લોકપાલના ગઠનને મંજૂરી આપી છે.
લોકપાલનું ગઠન ટ્રાઈ હેઠળ થશે અને તેના માટે ટ્રાઈ અધિનિયમમાં સંશોધનની જરૂર રહેશે. તેમણે જણાવ્યું કે દર ત્રિમાસમાં એક કરોડથી વધુ ફરિયાદો મળે છે. નવા તંત્રની રચના બાદ ગ્રાહકોની ફરિયાદોનું વધુ ઉત્કૃષ્ટ તેમજ સંતોષકારક રીતે નિવારણ થઈ શકશે.