![નર્મદા : પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ચંદ્રશેખરજીની આજે ૧૨મી પુણ્યતિથિ, ચિકદા ખાતે તેઓની સમાધિ ઉપર કરાયા ફૂલહાર](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/WREWR.jpg)
ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ચંદ્રશેખરજીની આજે ૧૨મી પુણ્યતિથિ છે. સ્વ.ચંદ્રશેખરજીની એક સમાધિ દિલ્હીમાં છે તથા તેમને સ્થાપેલી એક સંસ્થાને કારણે અને તેમના નર્મદા જિલ્લાના પ્રેમ તેમજ લગાવને કારણે એક સમાધિ નર્મદા જિલ્લાના ચિકદા ખાતે પણ સ્થાપિત છે. સ્વ.ચંદ્રશેખરજીએ વર્ષ ૧૯૯૦ દરમિયાન ૧૦મી નવેમ્બરના રોજ ભારતના ૮માં પ્રધાનમંત્રી બની પોતાની સેવા આપી હતી. ત્યારે આજે તેમની ૧૨મી પુણ્યતિથિ નિમિત્તે તેમની સંસ્થાના કાર્યકર્તાઓ અને બાળકો દ્વારા મૌન યોજી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જોકે આ સ્થળ ઉપર ક્યારેય કોઈ મોટા નેતાઓ ફરકતા નથી, પરંતુ આ સંસ્થાના સંચાલક કે. મોહન આર્યએ તેઓની ૧૨મી પુણ્યતિથિ નિમિતે હાર્દિક શ્રદ્ધાંજલી આપી હતી. પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ચંદ્રશેખરજીની જન્મજયંતિની ઉજવણી આજે દિલ્હીના રાજઘાટ ખાતે પણ કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના ચિકદા ખાતે આવેલ નાલંદા આશ્રમ શાળાના સંચાલક કે. મોહન આર્યના જણાવ્યા અનુસાર, સ્વ. ચંદ્રશેખરજીને આદિવાસી વિસ્તારના વિકાસમાં રસ હતો અને તેને કારણે જ તેઓએ નર્મદાના ચિકદામાં તેઓની ભારત યાત્રા દરમ્યાન એક આશ્રમ શાળા સ્થાપી હતી. તેમના મૃત્યુ બાદ અહીં તેમની સમાધિ પણ ભારત સરકારની મદદથી બનાવામાં આવી છે. જેથી તેઓની ૧૨મી પુણ્યતિથિ નિમિતે હાર્દિક શ્રદ્ધાંજલી અર્પણ કરતો એક કાર્યક્રમ દિલ્હીના રાજઘાટની સાથે સાથે નર્મદા જિલ્લાના ચિકદામાં ખાતે પણ યોજવામાં આવ્યો હતો.