-
જેલની કોટડી બની બંદીવાનો માટે જ્ઞાનની પાઠશાળા
-
રાજ્યની જેલમાં રહેલા 44 બંદીવાનો બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ
-
જેલ પ્રશાસનના માર્ગદર્શનથી બંદીવાનોના જીવન બદલાવ્યુ
-
જેલના બંદીવાનો શિક્ષણ થકી ડિપ્રેશનમાંથી બહાર આવ્યા
-
સફળ બંદીવાનોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરાશે
જેલના ઉંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઉભી થાય છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની જેલોમાં શિક્ષણ દ્વારા પુનઃવસનનું પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે.
આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 બંદીવાનોએ ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે. જેમાં ધોરણ-10માં 22 અને ધોરણ-12માં 22 બંદીવાનો પાસ થયા છે. જેલ પ્રશાસનની મહેનત, માર્ગદર્શન અને માનવીય અભિગમના કારણે બંદીવાનોના અંધકારમય જીવનમાં માટે શિક્ષણથી જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે.
જેલ વિભાગ દ્વારા બંદીવાનોને પરીક્ષાના ફોર્મ ભરાવવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેલ પરિસરમાં જ બોર્ડ પરીક્ષાના સેન્ટરની વ્યવસ્થા કરાતા બંદીવાનોને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું.
જેલ પ્રશાસન દ્વારા બંદીવાનો માટે આધુનિક લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પુસ્તકો ઉપરાંત ઓડિયો બુકની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પુસ્તકો બંદીવાનોના જીવનમાં સકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મદદરૂપ બની રહ્યા છે.
