કચ્છમાં શંકાસ્પદ બીમારીથી લોકોમાં ફફડાટ 

11 દિવસમાં 15 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ 

આરોગ્ય મંત્રીએ હેલ્થ વિભાગ સાથે કરી ચર્ચા 

ભુજ ખાતે મંત્રીએ યોજી પત્રકાર પરિષદ 

અદાણી હોસ્પિટલમાં 100 બેડ કરાયા તૈયાર

50 તબીબોની ટીમ પણ કરાય તૈનાત 

દર્દીઓના બ્લડના સેમ્પલનું પુના ખાતે થશે પરીક્ષણ   

ગુજરાત રાજ્યના કચ્છમાં લોકો બીમારીના ડરથી ફફડી રહ્યા છે,કારણ કે શંકાસ્પદ તાવથી માત્ર 11 જ દિવસમાં 15 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે,જે ઘટનાને પગલે રાજ્ય સરકારના મંત્રી પણ કચ્છમાં દોડી આવ્યા હતા,અને પરિસ્થિતિનો તાગ મેળવીને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ આપી હતી.તેમજ પત્રકાર પરિષદ યોજીને લોકોને ચિંતા મુક્ત રહેવા માટે અપીલ કરી હતી.
ગુજરાત રાજ્યના કચ્છમાં શંકાસ્પદ બીમારીના અજગરી ભરડામાં લોકો સપડાતા પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે,શંકાસ્પદ તાવના કારણે માત્ર 11 જ દિવસમાં 15 વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે.ઘટનાની ગંભીરતાને પારખીને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયા કચ્છ ખાતે દોડી આવ્યા હતા,અને ભુજ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.અને જણાવ્યું હતું કે લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ સંબંધિત દર્દીઓના બ્લડના નમૂના લઈને પુનાની લેબમાં પૃથક્કરણ કરવામાં આવશે,તેમજ ભુજની અદાણી હોસ્પિટલમાં વધારાના 100 બેડની સગવડ રાખવામાં આવી

છે.અને 7 ગામો અસરગ્રસ્ત છે ત્યાં સર્વેલન્સમાં આરોગ્યની ટીમને રાખવામાં આવી છે.જ્યારે 108ની ટીમ પણ ડેપ્યુટ કરવામાં આવી છે,હાલમાં શંકાસ્પદ તાવના 48 દર્દીઓ છે અને તમામ સારવાર હેઠળ છે,વધુમાં દર્દીઓની સેવા માટે અન્ય જિલ્લામાંથી 50 તબીબોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. અને દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે તેમ તેઓએ માહિતી આપી હતી.તેમજ લોકોને ચિંતા મુક્ત રહેવા માટે મંત્રીએ અપીલ કરી હતી.