સુરતના આંગણે શુક્રવારે પહેલી મે- ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અન્વયે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજનનું થયું છે. જ્યાં ભરૂચની સૂજની વણાટની અનોખી કારીગરી ઉજાગર થશે.દેશમાં GI ટેગ મેળવનાર સુજની ભરૂચ જિલ્લામાંથી પ્રથમ ઉત્પાદન છે. ભરૂચમાં બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઈનમાં પણ સુજની હસ્તકલાની થીમનો ઉપયોગ કરીને આ કલાને આધુનિક ઓળખ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.બીજી તરફ One District One Product યોજનામાં સૂજનીને ભરૂચ જિલ્લા અંર્તગત સમાવિષ્ટ કરાઈ છે.

ભરૂચ ખાતે વણાંટકામની આ 200 વર્ષ જૂની કલાને પુન:જીવંત કરવા જિલ્લા વહીવટી તંત્રએ પ્રોજેકટ રોશની અભિયાન ચલાવ્યું હતું. જેમાં વારસાગત કળાને સમાજના અન્ય લોકોએ આગળ ધપાવી અને તાલીમાર્થીઓએ સુજની વણાટની કૃતિઓ તૈયાર કરી હતી. સુજની વણાટકામ કરતાં માલીવાડના રફીક સુજનીવાલા અને ફાટા તળાવના મુઝક્કીર સુજનીવાલા આ કલાના કસબીઓ છે. શુક્રવારે સમિટમાં સુજનીના કલા કસબીઓનું કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં સન્માન કરાશે. સૂઝની સાથે જોડાયેલી સૌથી લોકપ્રિય માન્યતા એ છે કે, હાફિઝ ગુલામ હુસૈનને 1857ના વિદ્રોહમાં ભાગ લેવાની ખોટી ફરિયાદ પર આંદામાન અને નિકોબાર ટાપુઓ પર આવેલી જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં જેલવાસ દરમિયાન તેમણે સુજની વણાટની કળા શીખી હતી. ત્યારથી આ કળા ફક્ત પરંપરાગત રીતે પરિવાર પૂરતી મર્યાદિત રાખી હતી.
