ઇન્ડોનેશિયાના મદુરા ટાપુ નજીક 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈ જતી એક ફેરીમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને 41 લોકો હજુ ગુમ છે. દેશની સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સીના આંકડા મુજબ અત્યાર સુધી 225 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ફેરી પૂર્વ જાવા પ્રાંતના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસર તરફ જઈ રહી હતી ત્યારે રવિવાર સવારે તેમાં આગ લાગી હતી.
ગુમ મુસાફરોને શોધવા માટે ટીમો સતત શોધ અને બચાવ કામગીરી ચલાવી રહી છે. અધિકારીઓએ હજુ સુધી આગ લાગવાનું કારણ શોધી કાઢ્યું નથી. મદુરા ટાપુ જાવાના ઉત્તર-પૂર્વ કિનારા નજીક આવેલો છે. ફેરીમાં આગ લાગતાં જ ચીસો પડવા લાગી હતી. લોકો આગથી દૂર જવાનો પ્રયાસ કરતા તો આગ ફરી તે તરફ વળી જતી. ભાગતા-ભાગતા લોકો ફેરીના સૌથી ઉપરના ભાગે પહોંચી ગયા, પણ આગ ત્યાં સુધી પણ પહોંચી ગઈ. તીવ્ર પવનને કારણે આખી ફેરી ધૂં-ધૂં કરીને સળગવા લાગી હતી.
જેમાં જીવ બચાવવા માટે લોકો સમુદ્રમાં કૂદી પડ્યા હતા. આસપાસ પસાર થતા જહાજોએ મદદ કરી અને પોતાના જહાજ પર લાવવા માટે સમુદ્રમાં દોરડાં અને લાઇફ સેવિંગ જેકેટ ફેંક્યા હતા. માનવામાં આવે છે કે સમુદ્રની મોજાંમાં ઘણા લોકો કાં તો દૂર વહી ગયા કે ડૂબી ગયા છે. છતાં બચાવ કામગીરી ચાલુ છે. ગોતાખોરોને પણ સમુદ્રમાં ઉતારવામાં આવ્યા છે. હાલ લાપતા લોકો વિશે કોઈ ખાસ માહિતી મળી નથી.
ઇન્ડોનેશિયાની નેશનલ સર્ચ અને રેસ્ક્યુ એજન્સી બાસારનાસે જણાવ્યું કે ફેરી પાસે ચાર બીજા જહાજો સ્ટેન્ડબાય પર હતા પણ ફેરી પરના જ્વલનશીલ સામાનના ખતરાને કારણે તેઓ નજીક જઈ શક્યા નહોતા. બાસારનાસ મુજબ જ્યારે જહાજ પૂર્વ જાવાના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસર જઈ રહ્યું હતું ત્યારે કેપ્ટને આગ લાગવાની જાણ કરવા ફેરી કંપનીને ફોન કર્યો હતો ત્યારબાદ કેપ્ટનનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
