ખેતરમાંથી કાઢો કલાલ, દેશમાંથી કાઢો દલાલ, આ સ્લોગન કોંગ્રેસ માટે માથાના દુખાવા સમાન બન્યું છે. આ સ્લોગનના કારણે કલાલ સમાજમાં ઉકળતો ચરૂ જોવા મળી રહયો છે.

અમદાવાદમાં 12મી માર્ચના રોજ કોંગ્રેસ દ્વારા કિસાન સત્યાગ્રહનું આયોજન કરાયું હતું. આ સમયે કેટલાક કોંગ્રેસ કાર્યકરો હાથમાં બેનર્સ લઇને આવ્યાં હતાં. જેમાં એક બેનરમાં ખેતરમાંથી કાઢો કલાલ, દેશમાંથી કાઢો દલાલ એમ લખેલું હતું. આ સ્લોગનના કારણે સમસ્ત કલાલ સમાજની લાગણી દુભાઇ છે. વેગડા કલાલ, મેવાડા, જયસ્વાલ સહિતના સમાજના આગેવાનો અમદાવાદ ખાતે કોંગ્રેસના આગેવાનોને મળ્યાં હતાં અને તેમણે પ્રવકતા મનીષ દોશીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કલાલ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. કલાલ સમાજના આગેવાનોની રજુઆતના સંદર્ભમાં મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ કોઇ પણ સમાજના વિરોધમાં નથી.