આજે વિશ્વ વન દિવસ નિમિત્તે ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજથી ગડખોલ પાટિયા સુધી જુના નેશનલ હાઇવે નંબર 8 અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા પર 4.5 કિમિ સુધીના વિસ્તારમાં રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત ગાઢ જંગલ ઉભું કરવાની શરૂઆત કરવામાં આવી છે. પક્ષીઓનું આશ્રયસ્થાન બની રહે તેવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. હાલ સુધીમાં 5000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે જે પૈકી 95 ટકા વૃક્ષો ઉછરી ગયા છે. આજરોજ વિશ્વ વન દિવસ નિમિત્તે રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, ભરૂચ સીટીઝન કાઉન્સિલના ફાઉન્ડર ચેરમેન કમલેશ ઉદાણી, પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોષી, વન વિભાગના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ એન.કે.નવડીયા, કે.શ્રીવત્સન, કમલેશ દંડ, નરેશ પુજારા, ભરૂચ બાઇસીકલ ક્લબના સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહયા હતા. પર્યાવરણની જાળવણી થાય અને વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તેવી નેમ આ તબક્કે લેવામાં આવી હતી. આજે 50 જેટલા વૃક્ષોનુંરોપાણ કરવામાં આવ્યું હતું.
