36 કલાકથી વધુ સમય વીજ પુરવઠો ખોરવાવાને કારણે ચંદીગઢના કેટલાક ભાગોમાં અંધારું છવાયું હતું. વીજળી વિભાગના કર્મચારીઓની ત્રણ દિવસની હડતાળને કારણે ચંદીગઢના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે કેટલાક વિસ્તારો આંશિક રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે, પરંતુ શહેરના મોટા ભાગો હજુ પણ અંધારામાં છે.

ચંદીગઢના એક અધિકારીએ જણાવ્યું કે, બુધવાર સાંજ સુધીમાં તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે. “જો યુનિયન સત્તાવાર રીતે હડતાલ પાછી ખેંચે છે અને કામદારો કામ પર પાછા ફરે છે, તો અમે તેને બપોર સુધીમાં ફરી શરૂ કરી શકીશું,” તેમણે કહ્યું. વીજળી ડૂલ થવાના કારણે સમગ્ર શહેરમાં પાણીની સાથે વીજળીનો પુરવઠો ખોરવાયો હતો. આના કારણે ઘણી વ્યાપારી સંસ્થાઓ અને કોચિંગ સંસ્થાઓ ઠપ્પ થઈ ગઈ હતી. સરકારી હોસ્પિટલોએ સર્જરી મોકૂફ રાખી છે. મોબાઈલ ઓપરેટર્સની સંસ્થા COAIએ બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના કેટલાક ભાગોમાં પાવર કટના કારણે ટેલિકોમ સેવાઓમાં વિક્ષેપ પડ્યા બાદ ઓપરેટરો વૈકલ્પિક માધ્યમોનો આશરો લઈ રહ્યા છે.

COAIએ એક નિવેદનમાં કહ્યું કે ચંદીગઢ શહેરના કેટલાક ભાગોમાં પાવર કટ છે જેના કારણે ટેલિકોમ ટાવર કામ કરી રહ્યા નથી. આવી સ્થિતિમાં મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટી અવરોધાઈ રહી છે. ચંદીગઢમાં, વિદ્યુત વિભાગના કર્મચારીઓએ ખાનગીકરણના પ્રયાસો સામે ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરી છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. COAIના ડાયરેક્ટર જનરલ એસપી કોચરે કહ્યું, “અવિરત ટેલિકોમ સેવાઓ માટે, ટાવર્સને પાવર સપ્લાય સુનિશ્ચિત કરવો જરૂરી છે, તેથી બેટરી, જેનસેટ્સ, સોલર પેનલ્સ જેવા વૈકલ્પિક માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.” પાવર આઉટેજને પગલે, મોબાઈલ ઓપરેટર્સ એસોસિએશને બુધવારે એક નિવેદન બહાર પાડીને સ્વીકાર્યું હતું કે શહેરના કેટલાક ભાગોમાં પાવર આઉટેજને કારણે મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટી પણ ખોરવાઈ ગઈ છે. ટેલિકોમ કંપનીઓ હવે તેમની સાઇટ્સ અને એક્સચેન્જો ચલાવવા માટે વૈકલ્પિક સ્ત્રોતો શોધી રહી છે.