• ભરૂચ નગર સેવા સદનની કાર્યવાહી

  • તંત્ર દ્વારા આપવામાં આવી સૂચના

  • ગેરકાયદેસર દબાણો હટાવી લેવા સૂચના

  • સોમવાર સુધીમાં દબાણો હટાવી લેવાના રહેશે

  • સોમવાર બાદ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાશે

ભરૂચના એપીએમસી માર્કેટથી મનુબર ચોકડી સુધીના માર્ગ પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલ દબાણો હટાવી લેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. ભરૂચ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા માર્ગને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર વધતા દબાણોને કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી હોવાના પગલે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે, જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમે એપીએમસી માર્કેટથી મનુબર ચોકડી સુધીના માર્ગ પર  દુકાનો, લારી-ગલ્લા અને અન્ય રીતે કરાયેલા ગેરકાયદેસર દબાણોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન તંત્ર દ્વારા દબાણકારોને મૌખિક તથા લેખિત રીતે સૂચના આપવામાં આવી હતી કે તેઓ સ્વયં ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવી લે.પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સોમવાર સુધીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે તો સોમવારના રોજ જેસીબી સહિતના સાધનો સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લોકોની સલામતી અને માર્ગ વ્યવસ્થા સુચારુ રાખવા માટે તંત્ર દ્વારા આ અભિયાન શરૂ કરાયું હોવાનું પાલિકા અધિકારીઓએ જણાવ્યું છે.