અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થયા સક્રિય, કોલવડામાં ઓકિસજન પ્લાન્ટનો કરાવ્યો પ્રારંભ

New Update
અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થયા સક્રિય, કોલવડામાં ઓકિસજન પ્લાન્ટનો કરાવ્યો પ્રારંભ

ગુજરાતમાં ઠેર ઠેર ઓકિસજનની અછત અને દર્દીઓનો જીવ બચાવવા ઓકિસજનના સિલિન્ડર માટે દોડધામ કરતાં સ્વજનોના દ્રશ્યો તમે જોયા હશે. રાજયમાં બેકાબુ બનતી કોરોનાની સ્થિતિને કાબુમાં લાવવા માટે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સક્રિય બન્યાં છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારના રોજ ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ખાતે 280 PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લાન્ટ 3 દિવસમાં કાર્યરત કરવામાં આવશે જેના કારણે દર્દીઓને રાહત મળશે. મીડિયા સાથે વાતચીત કરતાં ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે કોલવડા ખાતે આજે 66 દર્દી સારવાર લઇ રહ્યા છે, જેમને આજથી ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બનશે. દર મિનિટે 280 લિટર ઓક્સિજન દર્દીઓને મળશે. એટલું જ નહીં, આકસ્મિક સમય માટે ઓક્સિજન સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાશે, જેનાથી દર્દીઓને કોઈ તકલીફ પડે નહીં.

વધુમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ અને આયોજન હેઠળ દેશભરમાં પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી છે, જે ટૂંક સમયમાં કાર્યરત કરાશે અને વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પહોંચાડવામાં આવશે.

Latest Stories