અમદાવાદ : એલઆઇસી એજન્ટે જીવીત પત્નીને મૃત બનાવી, જુઓ કેમ કર્યું આવું કારસ્તાન

New Update
અમદાવાદ : એલઆઇસી એજન્ટે જીવીત પત્નીને મૃત બનાવી, જુઓ કેમ કર્યું આવું કારસ્તાન

અમદાવાદના મણીનગરમાં રહેતા અને રિલીફ રોડ પર LIC બ્રાન્ચમાં એજન્ટ યુવકે પોતાની જીવીત પત્નીને મૃત બતાવીને કલેઇમ પાસ કરાવી લઇ છેતરપીંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 

મણિનગર વિસ્તારમાં રહેતો પરાગ પારેખ છેલ્લા ઘણા સમયથી રિલીફ રોડ પર આવેલી LICની બ્રાન્ચમાં એજન્ટ છે. ૨૦૧૨માં પરાગે તેની પત્ની મનીષાના નામે LICની રૂ. ૧૫ લાખની ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી લીધી હતી. ૨૦૧૬માં પરાગે પોતાની પત્ની મનીષાનું અવસાન થઈ ગયું હોવાનું AMCનું સૈજપુર બોધા વોર્ડનું ડેથ સર્ટિફ્કિેટ રજૂ કર્યું હતું અને ડોક્ટરના પણ ફર્જી પ્રમાણપત્રો રજુ કર્યા હતાં. પરાગે રજુ કરેલાં દસ્તાવેજોના આધારે  LICએ ૧૪.૯૬ લાખની રકમ તેના એકાઉન્ટમાં જમા કરી દીધી હતી. જુલાઈ ૨૦૨૦માં કંપનીનું ઓડિટ ચાલતું હતું. 

ઓડિટ દરમિયાન સામે આવ્યું હતું કે મનીષા પારેખનું ડેથ સર્ટિફ્કિેટ શંકાસ્પદ છે અને પરાગની એજન્સીના વારસદાર તરીકે તેની પત્ની મનીષાનું નામ ચાલુ છે.૨૫ લાખની પોતાની ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી પણ ગાંધીનગર ખાતે ટ્રાન્સફર કરાવી હતી. જે શંકાસ્પદ જણાઈ હતી. જેથી તપાસ કરતાં પરાગે કંપનીમાં પત્ની જીવિત હોવા છતાં તેનું કોર્પોરેશનનું ખોટું ડેથ સર્ટિફ્કિેટ પોલિસીના ડેથ ક્લેમ માટે રજૂ કરી રૂ. ૧૫ લાખ મેળવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી LICના અધિકારીએ આ મામલે ફરિયાદ  નોંધાવતાં કારંજ પોલીસે તપાસ શરૂ કરી છે.