ગુજરાતમાં વધતા જતાં કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકાર દ્વારા 29 જેટલા શહેરોમાં દુકાનો તથા મોટા શોપીંગ કોમ્પ્લેક્સ સહિત મોલ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના સક્ર્મણને અટકાવવા માટે રાજ્ય સરકારે અનેક કડક નિયમો રાજ્યમાં લાગુ કર્યા છે, ત્યારે ભીડભાડવાળી જગ્યા અને મનોરંજન પ્રવુતિ પણ બંધ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં બુધવારથી જ અનેક મોટા મોલ અનેક શોપીંગ કોમ્પ્લેક્સો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના કારણે મોટા શોપિંગ મોલ અને મલ્ટિપ્લેક્સ બંધ કરવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદ શહેર સ્થિત ઘણા મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં તમામ APMC, સિનેમા ઘરો તેમજ રેસ્ટોરન્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો સાથે જ રાજ્યમાં 29 શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ બંધ રાખવા અંગે પણ રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
અમદાવાદમાં હિમાલયા મોલ, આલ્ફા વન મોલ, ગુલમોહર પાર્ક મોલ સહિતના અનેક મોટા મોલ બંધ કરવામાં આવ્યા છે. શહેરના બધા મોલમાં પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે, ત્યારે અહીં સંક્રમણ ફેલાવવાની પણ શક્યતા વધારે રહે છે. તેવામાં અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત જે કોઈપણ વ્યક્તિ ગાઈડલાઈનનો ભંગ કરશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
