તાઉતે વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે નુકશાન થયું છે, ત્યારે અમદાવાદના ભારે પવન સાથે વરસેલા વરસાદના પગલે સાયન્સ સીટી રોડ પર આવેલ શુકન ચાર રસ્તા પરનો માર્ગ બેસી ગયો છે. જ્યાં રોડ બેસી ગયો છે, ત્યાં થોડા સમય પહેલા ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પુરાણ કરવામાં આવ્યું હતું. પરંતુ રોડ બેસી જતાં અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.
અમદાવાદમાં સાયન્સ સીટી રોડ પર આવેલ શુકન ચાર રસ્તા પર લગભગ 20 ફૂટથી વધુ રોડ તૂટી ગયો છે. આ રોડ તૂટવાનું કારણે એ છે કે, થોડા સમય પહેલા આ જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું હતું, જ્યાં પુરાણ કરી ખાડો પુરી દેવામાં આવ્યો હતો. પરંતુ કોન્ટ્રક્ટરોની નબળી કામગીરીના કારણે સ્થાનીક જનતાને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. જોકે, રોડ તૂટી જતા ત્યાં એક તરફનો આખો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો, ત્યારે બાજુમાં જ રોડને અડીને એક મોટી ખાનગી હોસ્પિટલ પણ આવેલી છે. ત્યાં સતત કોવિડ સહિત અન્ય દર્દીઓ પણ આવતા હોય છે. પરંતુ રોડ બંધ થઈ જવાના કારણે દર્દીઓને આખું ફરીને જવું પડે છે. ઉપરાંત એમ્બયુલન્સને પણ ફરીને જવું પડે છે. આ ઉપરાંત સાઉથ બોપલમાં ગ્રીનસીટી બંગ્લોઝનો રોડ કે, જ્યાં હમણા જ રોડ બનવામાં આવ્યો છે તે રોડ પણ તૂટી ગયો છે. આખો રોડ તૂટી જતા ત્યાંના રહીશોને બહાર અવવા જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જોકે, કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરીને લઈને કોર્પોરેશન પણ કોઈ કાર્યવાહી ન કરતું હોવાનું સામે આવ્યું છે. દર વર્ષે વરસાદમાં આજ રીતે રોડ પર ભુવા પડે છે, જેના પર થીગડાં મારવામાં આવે છે. પરંતુ મજબૂત કામ નહીં કરાતા અનેક લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે.