અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં ક્રાઇમ બ્રાંચે ચાર જીવતા બોંબ સાથે એક યુવાનને ઝડપી પાડયો હતો. ક્રાઇમ બ્રાંચની પુછપરછમાં યુવાને તેના પૈસા પરત નહિ આપી રહેલાં વ્યકતિને ઇજા પહોંચાડવા માટે બોંબ બનાવ્યાં હોવાની કબુલાત કરી છે.
આગામી મહિનામાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળનાર છે. એક તરફ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક યુવકને 4 જીવતા દેશી બોંબ સાથે ઝડપી પાડયો છે. અતિ સંવેદનશીલ ગણાતા દાણીલીમડા તરફના રિવરફ્રન્ટની ફુટપાથ પર આજે સવારે જાવેદ ઉર્ફે બાબા બ્લોચ નામનો યુવાન દેશી બનાવટના ચાર બોમ્બ લઈને પસાર થવાનો હોવાની ચોકકસ બાતમી ક્રાઇમ બ્રાંચને મળતા વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસે વાદળી ટી શર્ટ અને વાદળી જીન્સ પહેરીને પસાર થઈ રહેલા યુવાનને શંકાના આધારે અટકાવી તેની જડતી લીધી હતી. તેની પાસેથી દેશી બનાવટના ચાર બોંબ અને એક છરો મળી આવ્યો હતો. આરોપી પાસેથી મળેલા બોંબને તાત્કાલિક અસરથી ડીફયુઝ કરાયાં હતાં. આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે પોતાના પૈસા લેનાર વ્યકતિને ઇજા પોંહચાડવા માટે આ બોંબ બનાવ્યા હતાં. આરોપી આગાઉ પણ મારામારીના ગુન્હામાં સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.