/connect-gujarat/media/post_banners/941f76f7f9d3b310dc8a226f0a2e773fa5718340fdc1e53ddc6718be13ab3387.webp)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરની 10 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે. જાહેરમાં ગંદકી અને કચરો ફેકનારા આ દુકાનના માલિકો સામે કોર્પોરેશન દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વિવિધ ઝોન અને વોર્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન દક્ષિણ ઝોનમાં કેટલાક દુકાનદારો જાહેરમાં કચરો ફેલાવતા હોવાનું અને ગંદકી કરતા હોવાનું સામે આવતા તેઓને નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં જાહેરમાં ગંદકી અને કચરો ફેકનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે હતી. જેમાં મણિનગરમાં છાશવાલે સહિત કુલ 10 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. આ સાથે જ 33 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. સોલિડ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા મણિનગરની છાસવાલે, દાણીલીમડાની હોટલ સિલ્વર સ્પ્રિંગ, ખોખરાની ગાયત્રી પસ્તી ભંડાર, ઇન્દ્રપુરી વિસ્તારમાં આવેલી જનતા ટ્રેડર્સ નામની દુકાનને સીલ કરવામાં આવી હતી. આ સાથે જ ઇસનપુર વિસ્તારમાં આવેલ શ્રી હરસિદ્ધ મેડિકલ, ધનરાજ ઓટો મોબાઇલ્સ, શુભલક્ષ્મી જનરલ સ્ટોર્સને પણ સીલ મારવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બહેરામપુરા વિસ્તારમાં પણ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. સોલિડ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા નોબલ પાન પાર્લર, ગુજરાત ટી સ્ટોલ અને બાર્સેલોના હાઉસને પણ સીલ કરવામાં આવ્યું હતું. જાહેરમાં કચરો, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે છેલ્લા એક અઠવાડિયામાં 234 જગ્યાઓએ ચેકિંગ કરી અને 116 જેટલી દુકાનો અને પાનના ગલ્લાઓ વગેરેને નોટીસ આપવામાં આવી છે.