/connect-gujarat/media/post_banners/f071239c52d2013bf0905384f11dbb7c0911ef6fb3907ea3c7efd5362733c5d0.jpg)
પાકિસ્તાનથી ભારત આવેલા 41 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે સહિતના ઉચ્ચ અધિકારીઓના હસ્તે નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાગલે, અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં જ્યારે 41 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા,
ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમમાં ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ જિલ્લા કલેકટર જ્યારે બુઝુર્ગ બિરમાબાઈને નાગરિકતા પત્ર એનાયત કર્યું, ત્યારે તેમની આંખોમાં અનોખી ચમક જોવા મળી. આ પ્રસંગે કોન્ફરન્સ રૂમમાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓના ચહેરા પર ભારતીય નાગરિકતા મળ્યાનો સંતોષ વર્તાતો હતો. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ પણ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, ભારત માતા પ્રત્યેનો આપનો આદર-લગાવ જોઈ મને આનંદ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપને નાગરિકતા મળી, તેનો અમને આનંદ છે. આ સાથે જ ભારતીય નાગરિકતા મેળવનાર લાભાર્થીઓને ઉજ્જવળ ભાવિ માટે શુભકામનાઓ પાઠવી હતી. અત્યાર સુધી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 971 જેટલા પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે.