Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મંગેતરને મળવા યુવક ગયો હતો કડી, પ્રેમીએ કરી યુવકની હત્યા

મંગેતરને મળવા ગયેલ યુવકનો મળ્યો હતો મૃતદેહ, કેનાલમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા તપાસ.

X

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા એક યુવકનો મૃતદેહ કડી નજીક કેનાલમાંથી મળી આવ્યા બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. યુવક પોતાની મંગેતરને પહેલા મળ્યો અને બાદમાં હત્યા કરાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા કડી પોલીસે હત્યાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરી લીધી છે.

પ્રેમના ચક્કરમાં એક યુવકની હત્યા કરવાનો સરફરાજ મુલ્લા પર આરોપ લાગ્યો છે. આરોપી સરફરાજ મુલ્લાની અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે કડીમાં નોંધાયેલ હત્યાના ગુન્હામાં ધરપકડ કરી છે. બનાવની વાત કરીએ તો, ગત તા. 18 જુલાઈના રોજ નદીમ કુરેશી પોતાની મંગેતર બિલકીશબાનુને મળવા માટે અમદાવાદથી કડી ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ સરખેજ વિસ્તારમાં ગુમ થયા હોવાની પોલીસમાં જાણવા જોગ અરજી નોંધાવી હતી. જે અંગે એસઓજીની ટીમે ખાનગી રાહે તપાસ કરતા પ્રેમ પ્રકરણમાં બનાવ બન્યાનું સામે આવ્યું હતું.

આ દરમ્યાન બીજા દિવસે કડી-રંગપુરડા નજીક નર્મદા કેનાલમાંથી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, મૃતકને છેલ્લે રસ્તામાં સરફરાજ નામના વ્યક્તિએ ઉભો રાખી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હોવાની એસઓજીની ટીમને વિગતો મળી હતી. જે આધારે SOG ક્રાઈમે આરોપી સરફરાજ મુલ્લાની પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો. સરફરાજ મુલ્લાએ હત્યા કરી હોવાની કબુલાત કરતા પોલીસે કડી ખાતેથી તેની ધરપકડ કરી હતી. સરફરાજ મુલ્લા છેલ્લા ઘણા સમયથી મૃતકની મંગેતર સાથે પ્રેમ સંબંધમાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. છેલ્લા એકાદ વર્ષથી નદીમ કુરેશી સાથે બિલકીશ બાનુંની સગાઈ થયાની જાણ થતા પ્રેમ સંબંધમાં તકરાર ઉભી થઈ હતી, ત્યારે હત્યાને અંજામ આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story