અમદાવાદ : રાજયમાં કોરોનાથી 10,100 સત્તાવાર મોત પણ અરજી મળી 38 હજારથી વધુ
કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 10,100 જ્યારે સરકારે અત્યાર સુધી 22 હજારથી વધુને સહાય ચૂકવી
રાજયમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 10,100 જેટલો છે પણ સરકારે અત્યાર સુધી 22 હજાર કરતાં વધારે લાભાર્થીઓને સહાય ચુકવતાં સરકારી તંત્રમાં ચાલતી લાલીયાવાડી સામે આવી છે.
રાજ્યમાં કોરોના થી કેટલા લોકોના મોત થયાં તે સવાલ શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે. સરકારી આંકડાઓ અને વાસ્તવિક આંકડામાં ફરક હોવાની ચર્ચા સતત ચાલતી જ રહી છે. સરકારે રાજ્યમાં કોવિડથી મૃત્યુ પામેલ 22,000 મૃતકોના વારસદારોને રૂ 50 હજાર સહાય ચુકવી છે. રાજ્યમાં 38 હજાર જેટલી કુલ અરજીઓ અત્યાર સુધી આવી છે. પરંતુ સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં કોરોનાથી 10,100 લોકોના મોત થયા છે. સરકારના જ બે અલગ અલગ આંકડાઓ કોરોનાની મહામારી દરમિયાન થયેલી લાલિયાવાડી બતાવી રહી છે.રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે,સર્વોચ્ચ અદાલતે કોવિડ થી થયેલા મૃત્યુની કરેલી નવી વ્યાખ્યા મુજબ ગુજરાત સરકારે પહેલ કરીને કુલ 38 હજાર અરજીઓમાંથી અત્યારે ચકાસણી કરીને 22 હજાર જેટલા લોકોને સહાય ચૂકવી દેવામાં આવી છે.