/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/22164837/cv-2.jpg)
વિવિધ વિસ્તારોમાં પુરાણ કરેલ ગાબડાઓના સેમ્પલો લેવાયા
ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોથી રસ્તાના નવનિર્માણ અને
ગાબડા પુરાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાના અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે. ગાબડા
પુરાણમાં ભ્રષ્ટાચારના મામલે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદ આક્રમક વલણ અપનાવી
રહ્યું છે. AHPના સેજલ દેસાઈએ વિવિધ વિસ્તારોમાં કરાયેલ ગાબડા પુરાણમાં
વિવિધ સેમ્પલો એકત્ર કરી જિલ્લા કલેકટરને આપવા માટેની તૈયારીઓ કરી છે.
ભરૂચમાં ચોમાસા પહેલા બનેલા તમામ રસ્તાઓ ધોવાઈ જતાં
રસ્તાઓના નિર્માણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની બુમ ઉઠી હતી. ભરૂચના નગરજનોના
આંદોલનો બાદ સરકારે ગાબડાં પુરવા માટે માતબર રકમ ફાળવી હતી. જો કે પાલિકાએ ગાબડા
પુરાણ શરૂ કરતાં જ તેમાં ગોબાચારીની બૂમ ઉડી હતી. ગાબડા પુરાણ માટે સાવ હલકી
ગુણવત્તાનો સામાન વાપરવા ઉપરાંત રોડ ઉપરની ધુળને સાફ કર્યા વિનાજ ગાબડાઓ પુરાતા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદે અવાજ ઉઠાવ્યો હતો. ગાબડાની ગોબાચારીના અહેવાલ
મીડિયામાં પ્રસારિત થવા છતાં તંત્રનું રૂંવાડું પણ ફરક્યું નથી.
પાલિકાના અધિકારી અને પદાધિકારીઓ રીતસર આ ભ્રષ્ટાચાર
સામે આંખ આડા કાન કરતા એએચપીએ આક્રમક રવૈયો અપનાવ્યો છે. આંતર રાષ્ટ્રીય હિન્દુ
પરિષદના સેજલ દેસાઈએ તા.૨૨-૧ર-૧૯ના રોજ ભરૂચ શહેમાં પુરાયેલ ગાબડાઓમાંથી મટીરીયલના
સેમ્પલો એકઠા કર્યા છે. સેજલ દેસાઈએ વિવિધ વિસ્તારોમાંથી લીધેલા સેમ્પલો સોમવારના
રોજ જિલ્લા કલેકટરને આપવામાં આવશે અને તેમના દ્વારા જ આ સેમ્પલોના ટેસ્ટીંગ
કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવશે. સાથે ગાબડાં પુરાણમાં ભ્રષ્ટાચાર કરનાર
કોન્ટ્રાક્ટર અને તેની સામે આંખ આડા કાન કરી પ્રોત્સાહન આપનાર અધિકારી અને
પદાધિકારીઓ સામે પગલા લેવાની માંગ કરવામાં આવશે.