21 જૂનથી રસીકરણની નવી નીતિ, જાણો - કયા આધાર પર રાજ્યોને કેન્દ્ર તરફથી રસી આપવામાં આવશે

Update: 2021-06-08 11:45 GMT

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની COVID-19 રસીકરણ નીતિઓમાં ફેરફારની ઘોષણા કર્યાના કલાકો પછી, ભારત સરકારે 21 જૂનથી લાગુ થનારા રાષ્ટ્રીય COVID રસીકરણ કાર્યક્રમ માટેની સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. આ દિશાનિર્દેશોમાં જણાવાયું છે કે “રસીની માત્રા વસ્તી, રોગના ભાર અને રસીકરણની પ્રગતિના આધારે રાજ્યો/કેન્દ્રશાસિત કેન્દ્રોને ફાળવવામાં આવશે.

રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને લઈને સરકાર તરફથી જારી નવી ગાઇડલાઇન અનુસાર કેન્દ્ર સરકાર વેક્સિન નિર્માતા કંપનીઓ પાસેથી 75 ટકા વેક્સિન ખરીદી કરી રાજ્યોને ફ્રી આપશે. કેન્દ્ર પાસેથી મળેલી વેક્સિન રાજ્ય સરકારો હેલ્થવર્કર, ફ્રંટલાઇન વર્કર્સ, 45થી વધુ ઉંમરના અને 18-44 વર્ષના લોકોને સરકારી સેન્ટર પર ફ્રી વેક્સિન આપશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર, ક્યા ગ્રુપને રસીકરણમાં પ્રાથમિકતા આપવાની છે તે રાજ્ય સરકાર નક્કી કરશે. રાજ્યોને કેટલાક વેક્સિનના ડોઝ મળશે તે રાજ્યની વસ્તી, કોરોના કેસ અને વેક્સિનની બરબાદી પર નક્કી થશે.

ગાઇડલાઇન અનુસાર ખાનગી હોસ્પિટલ વેક્સિનના એક ડોઝની કિંમતથી વધુમાં વધુ 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઈ શકે છે. એટલે કે ખાનગી હોસ્પિટલોમાં કોવિશીલ્ડના એક ડોઝની વધુમાં વધુ કિંમત 750 રૂપિયા હશે, જ્યારે કોવૈક્સીન માટે વધુમાં વધુ કિંમત 1350 રૂપિયા હોઈ શકે છે.

સરકારી અને ખાનગી વેક્સિનેશન સેન્ટર લોકોની સુવિધા માટે તેને ઓનસાઇટ રજીસ્ટ્રેશનની પણ સુવિધા આપી શકશે. આ નવી ગાઇડલાઇન 21 જૂનથી લાગૂ થશે અને સરકાર તેની સમયે-સમયે સમીક્ષા કરતી રહેશે.

Similar News