કોરોનાની મહામારી વચ્ચે ઉદ્યોગ જગત સાથે સંકળાયેલ અનેક સમસ્યાઓ બહાર આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ જીઆઇએલ કંપનીના કામદારોએ પગાર મામલે કંપનીના ગેટ સામે હોબાળો મચાવ્યો હતો.
કોરોનાની ગંભીરતાને ધ્યાને લેતા સરકારે સમગ્ર દેશને લોકડાઉન કરવાની ફરજ પડી છે. વડાપ્રધાને કંપનીમાં કામ કરતાં ગરીબ અને શ્રમિક વર્ગનું વેતન નહિ કાપી આવા મુશ્કેલ સમયે સહયોગ કરવા અપીલ કરી હતી. પરંતુ વડાપ્રધાનની અપીલને કેટલીક કંપનીના સંચલોકો અને કોન્ટ્રાક્ટરો ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યુ છે, ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ જીઆઇએલ કંપનીના 100થી વધુ કામદારોને માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર નહિ મળતા કંપનીની બહાર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
બનાવની જાણ થતાં જીઆઇડીસી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કામદારોએ કંપની સત્તાધિશો સમક્ષ વહેલી તકે પગાર અને રાશન ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.