ભરૂચ : એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝીટીવ, એક દિવસમાં 5 નવા કેસ

Update: 2020-06-12 08:20 GMT

સરકારે જનજીવનની ગાડી પાટા પર લાવવા માટે લોકડાઉનમાં છુટછાટ આપી છે પણ લોકો હજી જાગૃત નહિ હોવાથી કોરોનાના દર્દીઓ વધી રહયાં છે. ભરૂચ જિલ્લામાં બે દિવસમાં જ 12 દર્દીઓ મળી આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ભરૂચ જિલ્લામાં એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. એપ્રિલ, મે અને જુન મહિનામાં જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 73 પર પહોંચી ચુકી છે. લોક ડાઉન દરમિયાન લોકો ઘરોમાં કેદ અને બજારો બંધ હોવાથી કોરોના વાયરસનું સંક્રમણ રોકવામાં સફળતા મળી હતી. જુન મહિનાના પ્રારંભની સાથે અનલોક -1 ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બજારો ખુલી જતાં લોકો ઘરોની બહાર નીકળી રહયાં છે. લોકોને માસ્ક પહેરવા સહિતની સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે પરંતુ લોકો જાણે કોરોના વાયરસનો કોઇ ભય ન હોય તેવી રીતે ઘરોની બહાર નીકળી રહયાં છે.

લોકોની બેદરકારીનું પરિણામ છેલ્લા બે દિવસમાં જોવા મળ્યું છે. ભરૂચ જિલ્લામાં બે દિવસમાં કોરોના વાયરસના 12 જેટલા દર્દીઓ મળી આવ્યાં છે. ભરૂચમાં એક જ પરિવારના 3 સભ્યો અને 2 ભાઇઓ સહિત વધુ 5 લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. નંદેલાવ રોડ પર આવેલી મલ્હાર ગ્રીન સિટીના એક જ પરિવારના 3 સભ્યોના તથા પીપળીયા ગામમાં બે ભાઈઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોનાના પોઝીટીવ કેસ મળી આવ્યાં બાદ આ વિસ્તારોને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવાયાં છે. કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. બે દિવસમાં નવા 12 કેસોની સાથે ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 73 ઉપર પહોંચી ગઇ છે. કોરોના વાયરસનો ખતરો હજી મંડરાયેલો છે ત્યારે લોકો પોતાની તથા પોતાના પરિવારની સલામતી માટે સાવચેતી દાખવે તેવી અપીલ કરવામાં આવે છે.

Similar News