ભરૂચ : વરસાદનું જોર ઘટતા નીકળ્યો ઉઘાડ, જુઓ ઢાઢર નદીના જળસ્તરમાં કેટલો થયો ઘટાડો..!

Update: 2020-08-20 06:57 GMT

ભરૂચ જિલ્લામાં વરસાદનું જોર ઘટતા ઉઘાડ નીકળ્યો હતો. ઉઘાડ નીકળતાની સાથે જ જનજીવન રાબેતા મુજબ થયું હતું. ઉપરાંત આમોદ નજીક ઢાઢર નદીના જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું, ત્યારે સતત 6 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે મેઘરાજાએ વિરામ લેતાં આકાશમાં સુર્યનારાયણના દર્શન થયા હતા. તો સાથે જ જનજીવનની ગાડી પણ પાટા પર આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલાં પાણીના કારણે ગંદકીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે.

આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ઢાઢર નદીની જળસપાટી 98 ફૂટ પર પહોંચી હતી. ઢાઢર નદીના જળસ્તરમાં ઘટાડો થતાં કાંઠા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો, આમોદમાં 5 મીમી, અંકલેશ્વરમાં 17 મીમી, ભરૂચમાં 37 મીમી, હાંસોટમાં 10 મીમી, જંબુસરમાં 3 મીમી, નેત્રંગમાં 21 મીમી, વાલિયામાં 11 મીમી, ઝઘડીયામાં 18 મીમી વરસાદ વરસ્યો હતો. ઉપરાંત વાગરામાં વરસાદ નોંધાયો ન હતો.

Similar News