ભાવનગર : ઉતરાયણ દરમિયાન અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવા જિલ્લા વ્યાપી કરૂણા અભિયાનનો પ્રારંભ

Update: 2021-01-12 02:50 GMT

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ૫ક્ષીઓને પતંગના દોરાથી ઇજા/મૃત્યુના બનાવો ઓછામાં ઓછા બને અને કોઇ ઘાયલ પશુ કે પક્ષી સારવાર વીના ન રહે તે માટે કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે.જે સંદર્ભે અધિક નિવાસી કલેકટરશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરૂણા અભિયાનને લગતી તમામ પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ માર્ગદર્શન કરાયું હતું.વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દરેક નાગરિકો, સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ પણ આ અભિયાનમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી.

આ અંગે વધુ વિગત આપતા એ.સી.એફ. વિજય રાઠોડે જણાવ્યું હતું કે આ અભિયાન મુખ્ય ત્રણ તબકકામાં હાથ ધરવાનું આયોજન થયેલ છે. જેમાં પ્રથમ તબકકામાં જાહેર જનતાને ઉત્તરાયણની ઉજવણી કોઇ પ્રાણી કે પક્ષી માટે ઘાતક ન બને તે માટે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ઉડાવવા માટે અપીલ કરવામાં આવી છે. મોટા ભાગે પક્ષીઓ વહેલી સવારે કે મોડી સાંજે નિવાસ સ્થાન તરફ વિચરતા હોય છે. ભાવનગર શહેરમાં ગંગાજળીયા તળાવ અને ગૌરીશંકર તળાવ આસપાસ પક્ષીઓ વૃક્ષ પર માળા પણ કરતા હોય છે. માળા પર બેસેલ બચ્ચાઓ પતંગના દોરાથી ઘાયલ થવાના બનાવો વઘુ જોવા મળે છે. તેથી આ વિસ્તારમાં પતંગ ઉડાવતા સમયે ખાસ ઘ્યાન આપવા અનુરોધ કરવામાં આવે છે. ચાઇનીઝ માંઝો પણ ખૂબ જ ઘાતક હોવાથી જાહેરનામુ બહાર પાડી તેના પર પ્રતિબંધ જાહેર કરેલ હોઇ કોઇપણ જગ્યાએ ચાઇનીઝ માંઝો વેચવા કે ખરીદવા નહી. જો કોઇ જાહેરનામાનો ભંગ કરતા પકડાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

બીજા તબકકામાં ઉજવણી દરમીયાન પતંગના દોરાથી ઇજા પામેલ પ્રાણી કે પક્ષીને સારવાર માટે તાત્કાલિક નજીકનાં રીસીવીંગ સેન્ટર પર પહોંચતા કરવા કે જેથી તેની યોગ્ય સારવાર વેટરનરી ઓફીસર દ્વારા કરી શકાય અને તેનો જીવ બચાવી શકાય. આ માટે દરેક તાલુકા કક્ષાએ કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે.

આ ટેલિફોન નંબરો નોંધી રાખવા વિનંતી :

 ભાવનગર માટે ૦૨૭૮-૨૪૩૭૧૫૧, ૯૮૨૫૫૦૫૦૯૮, ૬૩૫૨૫૮૧૧૦૨, મહુવા- ૭૬૯૮૩૩૪૭૫૫, સિહોર- ૦૨૮૪૬-૨૨૩૫૧૪, પાલીતાણા- ૯૯૨૪૮૬૮૪૭૨, તળાજા- ૦૨૮૪૨-૨૨૩૨૫૬, વલ્લભીપુર- ૯૭૨૩૫૬૩૬૮૭, જેસર- ૭૯૮૪૭૭૯૬૮૬, ૮૩૨૦૬૦૯૯૫૪, ગારીયાધાર- ૮૦૦૦૫૬૭૭૧૦, ઉમરાળા- ૬૩૫૭૦૮૭૧૭૨, ઘોઘા- ૦૨૭૮-૨૮૮૨૨૩૪ છે.

 ભાવનગર શહેર ખાતે કોઇપણ વિસ્તારમાં ઘાયલ પક્ષીઓ માટે એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨ ની મદદ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવે છે. જેના પર કોઇપણ નાગરિક ફોનથી માહિતગાર કરી પક્ષી બચાવવામાં સહકાર આપે તે ઇચ્છનીય છે. આ કામ માટે સ્વયંસેવકોની ટીમ પણ બનાવવામાં આવેલ છે. જે માહિતી મળતા તુરંત બનાવના સ્થળે પહોંચીને પક્ષીનો કબજો મેળવીને ટ્રીટમેન્ટ સેન્ટર પર પહોંચાડવાની વ્યવસ્થા કરશે.

ત્રીજા તબકકામાં ઉજવણી પૂર્ણ થયા બાદ જયાં ત્યાં લટકતા દોરા-ધાગાને એકત્ર કરી બાળીને નાશ કરવામાં આવશે. આ કાર્યવાહી માટે પણ ટીમો બનાવવામાં આવેલ છે. પરંતુ તમામ નાગરીકોને પણ વિનંતી છે કે, આવા દોરાઓમાં પણ પક્ષીઓ ફસાઇ જવાના કારણે ઇજા/મૃત્યુ પામતા હોય છે. તેથી આ બાબતે પણ લોક જાગૃતિ રાખવા અનુરોધ છે.

સ્થાનિક તંત્ર દ્વારા તમામ વિભાગો જેવા કે, વન વિભાગ, પશુ નિરીક્ષકો, મ્યુનીસીપલ કોર્પોરેશનના વિભાગો, ફાયર બ્રિગેડ, પી.જી.વી.સી.એલ., પોલીસ ડીપાર્ટમેન્ટ વગેરે વિભાગોને જરૂરી કામગીરીઓ સોંપવામાં આવી છે. પરંતુ સ્થાનિક લોકોના સહકાર વિના આ અભિયાન સફળ થઇ શકે નહી. કરૂણા ભાવ માનવ પાસે જ અપેક્ષીત છે. તેથી આ અભિયાનને સફળ બનાવી ઓછામાં ઓછા જીવોને નુકસાન થાય તે રીતે તહેવારની ઉજવણી કરવા અધિક કલેકટર ઉમેશ વ્યાસ તથા એ.સી.એફ વિજય રાઠોડ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

Tags:    

Similar News