ભાવનગર : માહિતી અને પ્રસારણ મંત્રાલય કચેરી, જુનાગઢ દ્વારા ઈશ્વરિયા ગામની શેરીઓમાં કરાયું ઉકાળાનું વિતરણ

Update: 2020-08-15 06:23 GMT

સરકારના વિવિધ વિભાગો દ્વારા કોરોના મહામારી સામે અસરકારક કામગીરી થઈ રહી છે, ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલય વિભાગ દ્વારા લોકો આરોગ્યપ્રદ બને તે માટે ઇશ્વરીયા ગામ ખાતે આયુર્વેદિક ઉકાળા વિતરણ તથા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો દ્વારા ઈશ્વરિયામાં ઉકાળા વિતરણ સાથે પ્રદર્શન સંદેશો આપવામાં આવ્યો હતો. સાંપ્રત મહામારી કોરોના સામે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ કચેરી દ્વારા ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામમાં કોવિડ-19 સંદર્ભે ઉકાળા વિતરણનું આયોજન કરાયું હતું.

આ કચેરીના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીના માર્ગદર્શન સાથે જન સુવિધા કેન્દ્ર તથા ગ્રામ સંજીવની સમિતિના સંકલન સાથે ગામમાં સામાજિક અંતર જાળવી શેરીઓમાં ઉકાળો પહોંચાડાયો હતો. સાથે સાથે માસ્ક વિતરણ પણ કરાયું હતું. અહીંયા કોરોના સંદર્ભે જાગૃતિ પ્રદર્શનના સંદેશાનો ગ્રામજનોને લાભ મળ્યો હતો. જોકે પૂરક કામગીરીમાં સ્થાનિક યુવા કાર્યકરો પણ જોડાયા હતા.

Similar News