નવસારી : ચીખલીના સોલધરા ગામે આવેલ ઈકો પોઈન્ટ ખાતે બોટ પલ્ટી, 5 લોકોના મોત

Update: 2021-01-17 17:17 GMT

આનંદ પ્રમોદની મજા કેટલીક વાર જીવના જોખમે ચઢાવી દેતી હોય છે એવોજ એક ગમખ્વાર કિસ્સો નવસારીના સોલંધરા ગામે બનવા પામ્યો છે અમદાવાદ અને સુરતના પરિવાર તળાવમાં બોટિંગ કરવા જતા બોટ પલટી મારતા મોત નો ભેટો થયો છે જેમાં બે નાની બાળકી સહિત 5 લોકોના ડૂબી જતાં મોત નિપજ્યું છે

અમદાવાદ અને સુરતથી નવસારી ના સોલધરા ગામે ઇકો પોઇન્ટ અને તળાવ માં બોટિંગ કરવા આવેલા પરિવારો પર કાળ ફરી વળ્યો હતો. ગત દિવસે સાંજે 6:30 વાગ્યે હરવા ફરવા આવેલા સહેલાણીઓ તળાવ માં બોટિંગ કરવા નાની બોટ માં તળાવ માં ફરવા નીકળ્યા હતા ૧૫ માણસ ની બોટમાં ૨૩ લોકો સવારી કરતા અચાનક બોટ પલટી મારી જતા બોટમાં બેસેલા સેહલાણીઓ તમામ તળાવના પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં બે બાળકી અને 3 લોકો મળી 5 લોકોના ડૂબી જવાથી મોત થતા સોલધરા ગામમાં ગમગીન વાતવરણ છવાયું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ તેમજ 108 સાથે બીલીમોરા અને ગણદેવીના ફાયર જવાનો અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સહેલાણીઓને સુરક્ષિત રીતે તળાવમાંથી બહાર કાઢ્યા હતા. જેમાં 5 લોકોનાં મોત થયા હતા. ઘટનાને લઈને લોકટોળા ઉમટી પડ્યા હતા. જેને સ્થાનિક પોલીસ તથા જિલ્લા પોલીસ વડા સહિતનાં અધિકારીઓએ ટોળાને વેરવિખેર કર્યો હતો. ઇકો પોઇન્ટના સંચાલક અશોક પટેલને પોલીસે હાલ ડિટેઇન કર્યા છે અને પૂછપરછ હાથ ધરી છે.

ઘટનામાં અમદાવાદનાં મેહુલ સોની, જેનિલ સોની, કરિશ્મા સોની, હેનસી સોની અને સુરતનાં ઇનસિયા કિખબવાળાએ જીવ ગુમાવ્યો છે. આનંદની મજા માણવા આવેલા આ તમામને મોતની સજા ભોગવવી પડી છે. મળતી જાણકારી મુજબ ક્ષમતા કરતાં વધારે સવારીનાં કારણે ધક્કામુક્કીથી બોટ પલટી મારી હતી. બોટમાં સવાર અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

રજાના દિવસોમાં મજા માણવા આવતા સહેલાણીઓ માટે સોલધારા એક પસંદગીનું સ્થળ બની ગયું છે. પરંતુ આ પ્રકારની ઘટના સામે આવતા ઇકો પોઇન્ટ ઉપર સુરક્ષા એક યક્ષ પ્રશ્ન બની ગયો છે. ત્યારે હવે ઇકો પોઇન્ટ સંચાલક ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ આવનારા દિવસોમાં જ ખબર પડશે.

Tags:    

Similar News