બાળકોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે ત્યારે સુરતમાં માત્ર 11 દિવસની બાળકી કોરોનાથી સંક્રમિત થઇ જતાં તેનો જીવ બચાવવા માટે પુર્વ મેયર ડૉ. જગદીશ પટેલ આગળ આવ્યાં છે.
રાજયમાં કોરોનાની લહેર ચાલી રહી છે અને હવે તેમાં યુવાનો અને બાળકો વધારે ભોગ બની રહયાં છે. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં 11 વર્ષીય બાળકી કોરોનાની સારવાર લઇ રહી છે. દુનિયામાં અવતરણ લેતાંની સાથે બાળકી કોરોનાથી સંક્રમિત બની ચુકી છે. બાળકીનો જીવ બચાવવા માટે ડાયમંડ હોસ્પિટલ સત્તાધીશોએ પ્લાઝમા આપવા માટે અપીલ કરી હતી.
સુરતના પુર્વ મેયર ડૉ. જગદીશ પટેલ અને બાળકીનું લોહી મેચ થઇ જતાં બાળકીને પ્લાઝમા આપવાનો નિર્ણય પુર્વ મેયરે લીધો હતો. જેના ભાગરૂપે બુધવારના રોજ બાળકીને પ્લાઝમા આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓના લોહીમાં ખાસ પ્રકારના એન્ટીબોડીનું નિર્માણ થાય છે જે કોરોના વાયરસ સામે રક્ષણ આપે છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓ દ્વારા આપવામાં આવતાં લોહીને પ્લાઝમાં તરીકે ઓળખવામાં આવે છે.