'અજય દેવગનનું હેલિકોપ્ટર થયું ક્રેશ'; સોશિયલ મીડિયામાં ફરતો થયો ફેક મેસેજ
ફિલ્મ એક્ટર અજય દેવગણને લઈ મંગળવારે સાંજે સોશિયલ મીડિયા ઉપર એક સમાચાર વાયરલ થયા હતા. જેમાં અજય દેવગનનું હેલિકોપ્ટર મહાબલેશ્વર પાસે ક્રેશ થયું છે તેમ જણાવાયું હતું. આ સમાચાર સામે આવતાં જ સોશિયલ મીડિયામાં હંગામો જોવા મળ્યો હતો. અને સમાચાર ઝડપથી વાયરલ થવા લાગ્યા હતો. જોકે આ સમાચાર તદ્દન ખોટા છે અને અજય સંપૂર્ણ સુરક્ષિત છે. સોશિયલ મીડિયા પર અજયના ઈજાગ્રસ્ત થયાની તસવીરો પણ વહેતી થઈ હતી, જોકે આ તસવીરો પણ ખોટી હોવાનું સામે આવ્યું છે.
મહાબલેશ્વરની સ્થાનિક પોલીસે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. અને કહ્યું હતું કે, ‘અજય અંગે જે મેસેજ વ્હોટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે તે સંપૂર્ણપણે ખોટો છે.’ પોલીસે આ વાયરલ મેસેજની શરુઆત કોણે કરી તે બાબતે પણ તપાસ શરૂ કરી છે.