અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટના સૌંદર્યમાં વધુ એક ઉમેરો, બાયોડાયવર્સિટી પાર્ક ખુલ્લુ મુકાયું

Update: 2020-10-06 04:27 GMT

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બાયોડાયવર્સિટી પાર્ક ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ બાયોડાયવસીટીનું ઉદ્ધાટન અમદાવાદના મેયર બિજલબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કુલ 2.25 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યું છે. આ પાર્કમાં 120 પ્રકારના 7 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મેયર બિજલ પટેલના હસ્તે બાયોડાયવર્સિટી પાર્કને ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં આ પાર્કથી વિદ્યાર્થીઓ જંગલમાં જોવા મળતી વનસ્પતિઓને સરળતાથી ઓળખી શકશે તેમજ પાર્કમાં બનાવેલી વુડન નેમ પ્લેટ જેમાં બોટનીકલ નામ તેમજ લોકલ નામનો પણ સમાવેશ કરાયો છે. પાર્કમાં ખાસ કરીને એન્ટ્રીમાં વાંસમાંથી બનાવેલો ગજેબો તેમજ ખુરશી પણ મુકવામાં આવી છે. જ્યારે પાર્કની અંદર બેસવા માટે લાકડાની બેન્ચીસ મુકાઈ છે. ચાલવા માટે ખેતરમાં હોય તેવો કાચો માર્ગ છે. પાર્કમાં ખાસ કરીને અંજીર, અરીઠા, કૈલાસપતિ, રક્તચંદન, સીસમ, સી-ગ્રેપ, પાઈનેપલ, બાવોબ (રૂખડો), ચરોલી, ઢવ, ખીજડો, ખેર, પીલખન જેવી લુપ્ત વનસ્પતિઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ચીકુ, કરમદા, મોસંબી, નારંગી, દાડમ, જાંબુ, સેતુર, ગુંદા જેવી ફળાઉ વનસ્પતિઓ પણ વાવવામાં આવી છે. જેના ફળનો ઉપયોગ પક્ષીઓ પણ ખોરાક માટે કરી શકશે. 35 કરતાં વધુ પ્રજાતિના પક્ષીઓ પણ પાર્કમાં આવવા લાગ્યા છે. કુલ 2.25 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યું છે. આ પાર્કમાં 120 પ્રકારના 7 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

આ પાર્કને મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાને લઈને સવારે 7 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી ખુલ્લો રખાશે. આ પાર્કમાં કોઈ પણ પ્રકારનું કૃત્રિમ મટીરિયલ વપરાયું નથી તેમજ પાર્કની જાળવણીમાં કેમિકલનો ઉપયોગ કરાયો નથી. પાર્કમાં પ્રવેશ માટે 5થી 12 વર્ષના બાળકની 10 રૂપિયા અને પુખ્તો માટે 20 રૂપિયા ફી ટિકિટ રાખવામા આવી છે.

Similar News