કેન્દ્ર સરકાર જુના વીજ મીટર હટાવીને હવે નવા સ્માર્ટ વીજ મીટર લગાવવાની તૈયારી કરી રહી છે. અને આ મીટરથી વીજ ચોરી અટકાવી શકાશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય ઉર્જા મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં આ અંગેની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે સ્માર્ટ મીટરની જે કિંમત 10000 રૂપિયા છે, તે ઘટાડીને 1000 રૂપિયા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ મીટરની કિંમત ઘટ્યા બાદ સરકાર દ્વારા નવા મીટર લગાવવામાં આવશે.
ઉર્જા મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજળીની ચોરી પર અંકુશ લાગશે અને વીજળીનાં વપરાશનું યોગ્ય રિડીંગ પણ મળશે. આ મીટર સાથે છેડછાડ શક્ય નથી અને તેનાથી ઘરે ઘરે જઈને વીજળીનું રિડીંગ લેવા માટે જવું નહિ પડે અને રિડીંગ સીધા જ કોમ્પ્યુટરમાં આવી જશે. વધુમાં મંત્રી ગોયલે જણાવ્યુ હતુ કે આ વીજ મીટર દેશમાં જ બનાવવામાં આવ્યા છે.