રાહુલ ગાંધી ધરમપુરના લાલ ડુંગરી ખાતે જનઆક્રોશ રેલીને સંબોધીને ગુજરાતમાં કરશે પ્રચારનો આરંભ

Update: 2019-02-13 03:51 GMT

જનઆક્રોશ રેલીને સફળ કરવા કોંગ્રેસે ધારાસભ્યોને મોકલ્યા

એકબાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે ‘મેરા પરિવાર-ભાજપા પરિવાર’ અભિયાનનો આરંભ કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. ત્યારે કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૪ મી ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાલ ડુંગરી ખાતે જનઆક્રોશ રેલીને સંબોધીને ગુજરાતમાં પ્રચારનો આરંભ કરશે.

આ જનઆક્રોશ રેલીને સફળ કરવા માટે કોંગ્રેસે સરપંચથી લઇને ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ પ્રયત્નો કરી રહ્યા છે. દરમિયાનમાં કોંગ્રેસના સાંસદ અને ખજાનચી અહેમદ પટેલ પણ બુધવારે ગુજરાત આવીને તૈયારીઓનું નિરીક્ષણ કરશે. કોંગ્રેસે રાહુલ ગાંધીની રેલીને સફળ કરવા માટે દરેક વિધાનસભા દીઠ બેઠકો કરવામાં આવી છે. આ બેઠકોમાં તાલુકા અને જિલ્લા કક્ષાઓના નેતાઓને બોલાવીને દરેક વિસ્તારમાં કઇ રીતે કેવા પ્રકારના લોકોને એકઠા કરવા તેની સુચના આપી હતી.

છેલ્લા ૬ દિવસથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ ડુંગરી ખાતે જ રોકાઇને રેલી સફળ કરવા પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસમાં માન્યતા છે કે, લોકસભાના પ્રચારનો ગુજરાતમાં ડુંગરીથી આરંભ કરે તેની કેન્દ્રમાં સરકાર બને છે. અગાઉ ઇન્દિરા ગાંધીએ ૧૯૮૦માં, રાજીવ ગાંધીએ ૧૯૮૫માં અને છેલ્લે વર્ષ ૨૦૦૪માં સોનિયા ગાંધીએ લોકસભાની ચૂંટણીના પ્રચારનો આરંભ ડુંગરીથી કર્યો હતો અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી. આ માન્યતાના આધારે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આરંભ ડુંગરીથી કરશે.

Similar News