• ભરૂચમાં નવરાત્રી પર્વની ધૂમ

  • આઠમના નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

  • સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર સમાજ દ્વારા આયોજન

  • પરંપરાગત ગરબાનું આયોજન

  • સ્વદેશી અપનાવોની થીમ પર ગરબા

ભરૂચમાં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ દ્વારા પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અર્વાચીન ગરબાની વધતી જતી બોલબાલા વચ્ચે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે ભરૂચના સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજે ઝાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી, વિરાસત ભી મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવમાં ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશનો પણ પ્રસાર થયો હતો.આઠમા નોરતે યોજાયેલા આ પરંપરાગત ગરબામાં સમાજની કન્યાઓએ દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી હતી.આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો.
ભરૂચમાં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજના આ ભવ્ય અને ભક્તિપૂર્ણ ગરબા મહોત્સવે માત્ર પરંપરાનું જ નહીં પરંતુ સમાજજાગૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.