• નર્મદા મૈયા બ્રિજ પર બની ઘટના

  • યુવાને નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ

  • માછીમારોએ યુવાનનો જીવ બચાવ્યો

  • પતિ પત્નીના કંકાસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલ્લાંગ લગાવી હતી જો કે સદનસીબે માછીમારોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી આજરોજ સવારના સમયે યુવાને નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. યુવાને નદીમાં ભૂસકો લગાવતા જ અંદર માછીમારી કરી રહેલા માછીમારોએ આ દ્રશ્ય જોયા હતા જેના પગલે તેઓએ તરત જ દોડી જઇ યુવાનનો જીવ બચાવ્યો હતો.આ અંગેની જાણ કરવામાં આવતા જ એમ્બ્યુલન્સ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.ભરૂચના કુકરવાડા વિસ્તારમાં રહેતા પતિ પત્નીના ઝઘડામાં પતિએ પત્નીની નજર સામે જ નર્મદા મૈયા બ્રિજમાં ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.

આ તરફ નદીમાં આપઘાતના વધતા બનાવો રોકવા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે.આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા જાળી લગાવવા માટેની કામગીરી કરવામાં નથી આવતી ત્યારે આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.