ભરૂચના હાથીખાનામાં જર્જરિત મકાન ધરાશાયી

બંધ હાલતમાં રહેલુ મકાન ધરાશાયી થતા દોડધામ મચી 

મકાનનો કાટમાળ કાર પર પડતા નુકસાન 

સદનસીબે કોઈ જાનહાની ન પહોંચતા રાહત 

નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા જરૂરી કાર્યવાહી કરાઈ  

ભરૂચ શહેરના હાથીખાના વિસ્તારમાં સોમવારે બપોરના સમયે એક બંધ જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી.જોકે મકાન નીચે પાર્ક કરેલી કાર પર તેનો કાટમાળ પડતા કાર ચાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ એક ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે જૂના ભરૂચમાં અનેક જૂના સમયના મકાનો આવેલા છે.પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ લોકો સોસાયટીમાં રહેવા જતાં તેઓના મકાનો આજે પણ બંધ હાલતમાં પડી રહ્યા છે. જેમાંથી અનેક મકાનો જર્જરિત થતાં ધરાશાયી થવાના બનાવો પણ બને છે. ભરૂચના હાથીખાના બજારમાં પરફેક્ટ ટ્રેલરની બાજુમાં એક જૂની મિલકત બંધ હાલતમાં છે.આજે બપોરના સમયે જર્જરિત બનેલું મકાન ધરાશાયી થતા આસપાસ રહેતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

આ સમયે મકાનની નીચે પાર્ક કરવામાં આવેલી એક કારની ઉપર મકાનનો કાટમાળ પડતા કાર ચાલકને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.જોકે આ મકાન મુખ્ય માર્ગને અડીને આવેલું હોય સદનસીબે કોઈ જાનહાની નહિ થતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સ્થાનિક લોકોએ આ બાબતે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી.અને કાટમાળને રસ્તા પરથી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.