ભરૂચ: જિલ્લામાં કુલ 33785 વિદ્યાર્થીઓ ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા આપશે, આયોજન અંગે કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાય બેઠક
બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, ST બસની વ્યવસ્થા, વીજળી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી ભરૂચ | શિક્ષણ | સમાચાર
આગામી તા.૨૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી વી.સી રૂમ ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, એસ.ટી બસની વ્યવસ્થા, વીજળી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પરીક્ષામાં ૧૮૬ જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ, પાંચ કલેકટર કચેરી સ્ટાફ, ૭૩૪ પોલીસ સ્ટાફ, ૧૩૧ ઓબ્ઝરવર, ૧૫૨ સરકારી પ્રતિનિધિ, ૨૨૬૯ પરીક્ષા કેન્દ્રનો સ્ટાફ મળી કુલ ૩૪૭૭ સ્ટાફ પરીક્ષાલક્ષી કામગીરીમાં જોતરાશે. ભરૂચ જિલ્લામાં ધો.૧૦ના ૨૨૫૮૩, ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના ૮૧૫૪ તથા ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ૩૦૪૮ મળી કુલ ૩૩૭૮૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
એસ.એસ.સીમાં કુલ ૩૨ પરીક્ષા કેન્દ્રો, ૮૪ બિલ્ડીંગો, ૮૦૯ બ્લોકમાં પરીક્ષા યોજાશે. એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં ૧૨ કેન્દ્રો, ૩૦ બિલ્ડીંગો, ૨૬૪ બ્લોકમાં પરીક્ષા યોજાશે તેજ રીતે એચ.એસ.સી વિજ્ઞાનપ્રવાહમાં ૦૪ કેન્દ્રો, ૧૭ બિલ્ડીંગો, ૧૫૪ બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની બાજ નજર રહેશે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દુલેરા, શિક્ષણ નિરીક્ષક ભારતભાઇ સલાટ, દિવ્યેશભાઇ પરમાર, પ્રદિપભાઇ પટેલ, શાળા સંચાલકના મંડળ તેમજ આચાર્ય સંધના હોદેદારો, વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
