નર્મદા નદીમાં આવેલ ભારે પૂરથી અનેક ખેડૂતોને નુકશાન

ઝઘડીયા તાલુકાના અનેક ગામોમાં ફરી વળ્યા પૂરના પાણી

આપના ધારાસભ્યએ લીધી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત

ચૈતર વસાવાએ પૂરગ્રસ્તોને કર્યું અનાજની કીટનું વિતરણ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુલાકાતે આવી પહોચ્યા હતા, જ્યાં તેઓએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે. હજારો લોકોની ઘરવખરી પાણીમાં વહી જતાં મોટું નુકશાન થયું છે. આ સાથે જ કેટલાક પશુપાલકોના ઢોરના પાણીમાં તણાઇ જતાં મોત, જ્યારે અનેક ધરતીપુત્રોના પાકનો પૂરના પાણીએ સોથ વાળી દીધો છે.

તેવામાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર, પાણેથા, તરસાલી ઓરપટાર, ટોઠીદ્રા અને જુનાપરા સહિતના અનેક વિસ્તારોમાં લોકોના મકાનો પાણીમાં ગરકાવ થઈ જવાથી લોકોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે, ત્યારે ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષાએ જૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત તેઓએ તંત્રની બેદરકારીના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય હોવાના સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.