ભરૂચ : આમોદના સીમરથા ગામે ખેતરો પાણીમાં ગરકાવ, જુઓ ખેડુતોએ કોની પર લગાવ્યા આરોપ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સીમરથા ગામે રેલવે તથા હાઇવેની કામગીરીના કારણે પાણીનો નિકાલ અટકી જતાં ખેતરોમાં પાણી ભરાય ગયાં છે. ખેતરોમાં વાવેતર કરાયેલાં પાકને નુકશાન થતાં ખેડુતોમાં રોષ ફેલાયો છે….
ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહયો છે. વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડુતો માટે વરસાદ આફત લઇને આવ્યો છે. સીમરથા ગામમાં 300 એકરથી વધારે જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે.
સીમરથા ગામના ખેડૂતોએ જણાવ્યું છે કે, તેમના ગામ નજીકથી એકસપ્રેસ હાઇવે તથા ફ્રેટ કોરીડોરની રેલવે લાઇન પસાર થાય છે તેની કામગીરી દરમિયાન ડાયવર્ઝન નહિ આપવામાં આવતાં અમારા ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે.
આમોદ અને જંબુસર તાલુકો કપાસના કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે. આ પંથકમાં મોટાભાગના ખેડુતો કપાસનું વાવેતર કરતાં હોય છે. કપાસની સાથે અન્ય પાકો પણ લણવામાં આવે છે. સીમરથા ગામના ખેડુતોએ ખેતરોમાં ભરાયેલા પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં તંત્ર મદદ કરે તેવી માંગણી કરી છે.