રાજય સરકારે કોરોનાની ચેઇન તોડવા 29 શહેરોમાં મીની લોકડાઉનની જાહેરાત કરી છે પણ અન્ય શહેરો અને ગામડાઓમાં પણ લોકો ઘરોમાં રહે તે માટે સ્વૈચ્છિક લોકડાઉન પર ભાર મુકવામાં આવી રહયો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ગામોના સરપંચો અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના સંક્રમણને રોકવા તથા બીમારીને વધુ ફેલાતી રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવા અપીલ કરવામાં આવી હતી. પોલીસની અપીલને હાંસોટ, ઇલાવ,વાલનેર,ઘમરાટ, રોહિદ,વઘવાણ, ઓભા સહિતના ગામના સરપંચોએ સ્વીકારી છે. આ ગામડાઓમાં આવતીકાલે શનિવારથી તારીખ 15મી મે સુધી લોકડાઉન રહેશે. આવશ્યક વસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને સવારે 6 થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. બપોરે 1 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવશે.