/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/31172410/bhr-vast-manegment.jpg)
ભરૂચ શહેરમાં કચરાપેટીની બહાર પડેલી પ્લાસ્ટિકની થેલીઓ આરોગતી ગાયમાતાઓના દ્રશ્યો કનેકટ ગુજરાત પર દેખાડવામાં આવ્યાં હતાં. કનેકટ ગુજરાતના અહેવાલ બાદ હવે પાલિકાએ પ્લાસ્ટિકના છુટાછવાયા પડી રહેતાં કચરાના નિકાલ માટે નવતર અભિગમ અપનાવ્યો છે.
ભરૂચ શહેરના 11 વોર્ડમાં કચરાના નિકાલ માટે કચરાપેટીઓ મુકવામાં આવી છે. આ કચરાપેટીઓમાં લોકો કચરો નાંખવામાં આવે છે તે સારી બાબત છે. પણ કચરાપેટીમાં નાંખવામાં આવતાં કચરામાં મોટાભાગે પ્લાસ્ટિકની થેલીઓ વધારે હોય છે. કચરાપેટીઓ ખુલ્લી હોવાથી તેમાં ગાય અને શ્વાસ જેવા પ્રાણીઓ કચરો ફેંદી નાંખતાં હોય છે પરિણામે કચરાપેટીની આસપાસ વધારે કચરો જોવા મળે છે. આ પ્લાસ્ટિકનો કચરો ગાયમાતા આરોગતી હોય છે. ગૌમાતાના આરોગ્ય સામે થઇ રહેલાં ખીલવાડ સામે કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલે ઝુંબેશ ઉપાડી હતી અને તેનું સકારાત્મક પરિણામ મળ્યું છે.
ભરૂચ નગરપાલિકાએ છુટાછવાયા પડી રહેલાં પ્લાસ્ટિકના કચરાનું એકત્રિકરણ કરી તેનું રીસાયકલીંગ અથવા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એજન્સીની નિમણુંક કરી છે. આ ઉપરાંત આ કચરો ઉપાડવા માટે 100 જેટલા રેગ પીકર્સ એટલે કે કચરો વીણનારાઓની પસંદગી કરી છે. એજન્સી આ લોકો પાસેથી કચરાની ખરીદી કરશે અને બીજી તરફ સરકાર તરફથી આ રેગ પીકર્સને પ્રોત્સાહક રકમ અપાશે. આમ શહેરમાંથી પ્લાસ્ટિકના કચરાનો નિકાલ પણ થશે અને રેગ પીકર્સને રોજગારી પણ મળી રહેશે.